શું તમને દલિત હોવા પર ગર્વ છે?

December 18th, 2013

મને આજ પણ યાદ છે એ દિવસ કે જ્યારે હું ટ્રેનમા હતો, અને ઇક સ્ટેશન પર ગાડી ઉભી રહી, અને થોડી વારમાં જ એક યુવાન ત્યાં મારી બાજુની સીટ પર બેઠો, તેમના હાથમા થોડા કાગળ હતા, અને એક ફાઇલ હતી જેમા આગળ જ બાબા સાહેબનો ફોટો હતો અને નિચે તેમનુ નામ અને સરનામુ લખેલુ, હતું. તે બધુજ વાંચિને એ તો હું સમજી જ ગયો હતો કે એ આવનાર યુવાન દલિત જ હતો. એટલે મને તેમની સાથે વાત કરવાનું મન થયુ એટલે મે તેને પૂછ્યું, “ ભાઇ તમે કઇ જ્ઞાતિના છો?” એટલે થોડીવાર તેમણે મારી સામે જોયુ અને પછી થોડુ મોં ઉદાસ જેવુ કરીને તે બોલ્યો, “હું પટેલ છું. કેમ?” તેમનો જવાબ સાંભળીને હું તો દંગ જ રહી ગયો અને વાત પણ કળી જ ગયો કે તેમને પોતાની જાતને કદાચ દલિત કહેવામા શરમ આવતી હશે, માટે ઘડીભર તો હું ના બોલ્યો અને બાદ માં કહ્યુ, “ના ભાઇ હવે કાંઇ નહી, આ તો મને થયુ કે થોડીવાર માટે એક જાતભાઇનો સાથ મળ્યો છે તો વાત કરી લઉ, કેમકે હું પણ એક દલિત છું ને માટે.” મારો જવાબ સાંભળીને તેમનો ચેહરો સાવ મુરજાઇ ગયો, અને થોડાવાર તે કાંઇપણ બોલ્યા વગર બેઠો રહ્યો અને બાદ માં ત્યાથી ઉભો થઇને જતો રહ્યો. અને હું બસ તેમના જવાબ પર વિચારતો જ રહ્યો. શા માટે? આખરે શા માટે આપણને આપણી જ જાત પર શરમ આવે છે, કેમ આપણે બધાથી અલગ છેએ કોઇ રીતે. નહી ને! આપણે પણ એવા જ દેખાઇ એ છીએ કે જેવા બીજા દેખાય છે, તો પછી કહેવામા શરમ કેવી??? ખાસ તો આવા જ લોકો આપણા દલિત સમાજની પ્રતિષ્ઠાને હાની પહોચાડે છે. તમે જ વિચારો કે જો આપણા હદય સમા બાબા સાહેબે પણ જો આજ યુવાનની જેમ વિચાર્યુ હોત તો આજે આપણે કયાં હોત? શું આવા લોકોને એ પણ જાણ નહી હોય કે આપણા સમાજ માથી કેટલાય લોકો એવા છે કે જેમને આપણો સમાજ તો શું? પણ આખી દૂનિયા આજે પણ યાદ કરે છે, જેમકે સંત દાસીજીવણનુ નામ તો કોણે નહી સાંભળ્યુ હોય, અને આ સિવાય પણ સંત રોહીદાસ, રામાયણના રચિયતા મહર્ષી વાલ્મીકી, અરે આવા તો ઘણાજ મહાન લોકો છે, કોઇ આજે વૈજ્ઞાનિક છે, તો કોઇ નેતા, કોઇ ઓફિસર છે, તો કોઇ મહાન સંત કોઇ ને કોઇ જગ્યાએ કે જ્યા બીજા કોઇ લોકો કામ કરે છે અથવા તો અગ્રેસર છે તો ત્યા આપણા દલિત ભાઈઓ પણ છે જ. તો તમે જ વિચાર કરો જો આ બધા પણ પેલા યુવાનની માફક જ વિચારતા હોત ને તો આજે કદાચ આપણને એ કહેવામા શરમ આવત કે “હું દલિત છું” પણ આજે વાત અલગ જ છે, જો આજ કે આજ પછી ક્યારેય તમને કોઇ પૂછેને કે તમે કેવા છો તો ત્યારે તમે સંકોચ અનુભવવાને બદલે આપણા આ મહાન લોકોના ચેહરા યાદ કરજો એટલે તમારે કશું જ બોલવું પણ નહી પડે, તમારા મોંમાથી એમની રીતે જ શબ્દો સરી પડસે કે, “હું દલિત છું”

લેખકઃ અજય રાઠોડ.